ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જીએસટી નોંધણીમાં ભારે તેજી જોવા મળી રહી છે. જીએસટી પોર્ટલના તાજેતરના ડેટા અનુસાર, 31 ઓક્ટોબર, 2025 થી 28 ફેબ્રુઆરી, 2026 ના ટૂંકા ગાળામાં રાજ્યમાં 57,018 નવા રજિસ્ટ્રેશન ઉમેરાયા છે. આ વધારા સાથે ગુજરાતમાં કુલ કરદાતાઓની સંખ્યા 13,25,324 થી વધીને 13,82,341 પર પહોંચી ગઈ છે.દેશભરમાં 5 લાખ નવા રજિસ્ટ્રેશન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં નવેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં અંદાજે પાંચ લાખ નવા જીએસટી રજિસ્ટ્રેશન થયા છે. નિષ્ણાતોના મતે, જીએસટી પ્રક્રિયામાં કરવામાં આવેલી સરળતા આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ છે.
નોંધણી વધવા પાછળના મુખ્ય કારણો: ગયા વર્ષથી જીએસટીની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હવે માત્ર ત્રણ દિવસમાં SMS-આધારિત રજિસ્ટ્રેશન શક્ય બન્યું છે. અરજી માટે જરૂરી દસ્તાવેજોની સંખ્યામાં ઘટાડો કરાતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવેમ્બર 2025માં નાના અને ઓછા જોખમવાળા વ્યવસાયો માટે નોંધણી મર્યાદામાં ઘટાડો કરીને રૂ. 25 લાખ કરવામાં આવી હતી. આ પગલાથી મોટી સંખ્યામાં MSME એકમો ટેક્સ સિસ્ટમ સાથે જોડાયા છે. ઈ-ઈનવોઈસિંગ અને ઈ-વે બિલ ઈન્ટીગ્રેશનને કારણે વહીવટી પ્રક્રિયાઓ વધુ સુવ્યવસ્થિત બની છે.વધતી જતી ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ અને ઈમ્પોર્ટ (આયાત) ના વોલ્યુમમાં વધારો થવાને કારણે પણ નવા રજિસ્ટ્રેશનની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. આમ, ટેક્સ માળખાનું સરળીકરણ અને ડિજિટાઈઝેશન નાના વેપારીઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળ રહ્યું છે, જેની સીધી અસર રાજ્ય અને દેશની આવક પર જોવા મળી રહી છે.



