હાલ સોના-ચાંદીમાં દિવસે અને દિવસે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેથી ગોલ્ડ લોન બજારમાં આ અચાનક ફેરફારનું મુખ્ય કારણ પણ જોવા મળી રહ્યું છે. રિઝર્વ બેંક એ ધિરાણકર્તાઓને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે, બુલિયન માર્કેટમાં ચાલી રહેલી અસ્થિરતા બેંકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. આ સલાહને અનુસરીને, જે બેંકો પહેલા તમારા સોનાના મૂલ્યના ૭૦થી ૭૨ ટકા LTV સાથે લોન આપતી હતી તેઓએ હવે તેમની ઓફર પાછી ખેંચી લીધી છે. આ મર્યાદા હવે ઘટાડીને ૬૦ થી ૬૫ ટકા કરવામાં આવી છે. સાદી ભાષામાં વાત કરીએ તો, જો તમે પહેલા લાખ રૂપિયાનું સોના પર ૭૨ હજાર મળતા હતા, પરંતુ હવે તમને એટલી જ રકમના સોના માટે ફક્ત ૬૦થી ૬૫,૦૦૦ રૂપિયા જ મળવાની શક્યતા છે. બેંકોએ તેમના જોખમ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે આ પગલું ભર્યું છે. 
બેંકો ફક્ત વર્તમાન ભાવો વિશે જ નહીં, પણ ભવિષ્યની ચિંતાઓ વિશે પણ ચિંતિત છે. સોનાના ભાવ હાલમાં આસમાને પહોંચી રહ્યા છે બેંકોને ડર છે કે જો સોનાનું મૂલ્ય ઘટશે, તો બાકી લોનની રકમ ગીરવે મૂકેલા સોનાના મૂલ્ય કરતાં વધી શકે છે. આવી સ્થિતિમાં, લોન લેનારાઓ લોન ચૂકવવા કરતાં ડિફોલ્ટ કરવાનું વધુ સારું માની શકે છે, કારણ કે તેમનું ગીરવે રાખેલું સોનું લોનની રકમ કરતાં સસ્તું થઈ જશે. આ પરિસ્થિતિ બેંકોની સંપત્તિ ગુણવત્તા પર નોંધપાત્ર દબાણ લાવી શકે છે, અને આ જોખમને સમજીને, ધિરાણકર્તાઓએ હવે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે.
રિઝર્વ બેંક અને બેંકો માટે ચિંતાનું બીજું એક મુખ્ય કારણ લોન લેનારાઓની બદલાતી પ્રોફાઇલ છે. ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૧થી ૨૧ થી ૩૦ વર્ષની વયના યુવાનો દ્વારા ગોલ્ડ લોન ઉધાર લેવાનો દર બમણો થઈ ગયો છે. દરમિયાન, ૩૧-૪૦ વર્ષની વયના લોકો કુલ ગોલ્ડ લોનના આશરે ૪૫ ટકા લઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૫થી ગોલ્ડ લોનમાં વાર્ષિક ધોરણે ૧૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર ૨૦૨૫માં, આ આંકડો રૂ.૩.૩૭ લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આટલા ઝડપી વિકાસ પછી, ઉદ્યોગે હવે આક્રમક વિસ્તરણને બદલે સ્થિરતા પસંદ કરી છે, જેથી માઇક્રોફાઇનાન્સ અને પર્સનલ લોન જેવા ભૂતકાળના સંકટનું પુનરાવર્તન ટાળી શકાય.



