તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સોમવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે રૂબરૂ ઉપસ્થિત રહી 30થી વધુ અરજદારોની ફરિયાદો અને રજૂઆતો સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક ઉકેલ માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
કાર્યક્રમમાં અરજદારો દ્વારા મુખ્યત્વે ખેતર સુધી પહોંચવાના રસ્તા, દબાણ દૂર કરાવવાની માંગ, એસ.ટી. બસ સેવા શરૂ કરવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આવાસ યોજના સંબંધિત અરજદારોના સામૂહિક પ્રશ્નો પણ કલેક્ટર સમક્ષ રજૂ થયા હતા.કલેક્ટર દેવ ચૌધરીએ આવાસ યોજનાના લાભાર્થીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, જે નાગરિકોની આવાસ યોજના હેઠળ સત્તાવાર નોંધણી થઈ ચૂકી છે તેમને સરકાર દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંક અનુસાર નિયમિત અને તબક્કાવાર રીતે આવાસનો લાભ આપવામાં આવશે.કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા જે. એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. અરજદારોની રજૂઆતોને સંવેદનશીલતાપૂર્વક સાંભળી તેમના પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




