વર્ષ 2025માં ચાંદીના ભાવમાં થયેલા સતત વધારાએ ચાંદીના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જેમાં વર્ષ 2025માં ચાંદીએ તેના રોકાણકારોને 164 ટકાનું જંગી વળતર મળ્યું છે. તેમજ આ વર્ષની શરૂઆતમાં પણ ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જેમાં શુક્રવારે 9 જાન્યુઆરીના રોજ દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીનો ભાવ 6500 રૂપિયા વધીને 2,50,000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. આમ ગત વર્ષે 31 ડિસેમ્બરની સરખામણીમાં ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં 11,000 રૂપિયા એટલે કે 4.60 ટકાનો વધારો થયો છે.જ્યારે 31 ડિસેમ્બર 2025 ના રોજ, દિલ્હી બુલિયન બજારમાં ચાંદીનો ભાવ રૂપિયા 2000 ઘટીને રૂપિયા 2,39,000 પ્રતિ કિલો પર બંધ થયો હતો.
1 જાન્યુઆરી 2026 ના રોજ ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટીને રૂપિયા 1600 ઘટીને રૂપિયા 2,37,400 પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત નિષ્ણાતના જણાવ્યા અનુસાર ભૂરાજકીય તણાવ અને યુએસ ડેટા વચ્ચે ચાંદીની માંગ સતત વધી રહી છે. તેમજ આગામી દિવસોમાં સોલાર પેનલ્સ, ઇવી અને અન્ય ઉદ્યોગો તરફથી મજબૂત માંગ તેના ભાવને વધુ વધારશે. માળખાકીય પુરવઠાની મર્યાદાઓ અને ચાંદીના ETF માં સતત ઝડપી રોકાણ પણ ચાંદીના ભાવને વેગ આપશે. જોકે, આ વર્ષે ચાંદીના ભાવ ગયા વર્ષ જેટલા ઝડપથી વધશે નહીં. જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ વર્ષે ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂપિયા 300,000 સુધી પહોંચી શકે છે. આનો અર્થ એ થયો કે ચાંદીના ભાવ તેમના વર્તમાન સ્તરથી આશરે રૂપિયા 50,000 એટલે કે 20 ટકા વધી શકે છે.



