સાળંગપુર ધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શુક્રવાર અને શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જ્યંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. આજે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવી હતી જેમાં પણ લાખો ભક્તોએ દાદાની આરતીનો અનેરો લાહ્વો લીધો હતો.
આ દરમિયાન હનુમાનજીએ સુવર્ણ વાઘામાં ભક્તોને દર્શન આપ્યા હતા. મહત્ત્વનું છે કે, હનુમાન જ્યંતીના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે કષ્ટભંજન દેવ દાદાના દર્શને 7થી 10 લાખ ભક્તો ઉમટ્યા હતા.
સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લીધો હતો. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવ્યો હતો. મંદિરની યજ્ઞશાળામાં શ્રી હનુમત્ બીજમંત્ર અનુષ્ઠાન, વેદ અનુષ્ઠાન, પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાયું હતું. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપ્યા હતા. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
બપોરે 11:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય છપ્પનભોગ અન્નકૂટ આરતી વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શને આવતાં તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો. હનુમાન જ્યંતીના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાઈ હતી. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થયા હતા. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું હતું. 251 પુરુષ-મહિલા ભક્તોએ સાફા ધારણ કરીને દાદાને રાજી કર્યા હતા. 108 બાળકોએ દાદાના વિજયી ધ્વજને લહેરાવ્યો હતો. આ તકે આફ્રિકન સીદી ડાન્સે જબરદસ્ત આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવ્યા હતા. તારીખ 11 એપ્રિલ શુક્રવારે રાત્રે સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાયો હતો. જેમાં હજારો દીવડાઓ દ્વારા સામૂહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા રાત્રે 9.30 કલાકે કિંગ ઑફ સાળંગપુરની સમૂહ આરતી યોજાઈ હતી. જેમાં હજારો દીવડાઓથી કિંગ ઑફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થઈ હતી અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કર્યું હતું. સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહ્યા હતા. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરાયા હતા.
