(માહિતી બ્યુરો, તાપી) : તાપી જિલ્લામાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે વ્યારા નગરપાલિકા પ્રમુખ અને વ્યારા ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં ‘જન કલ્યાણ શિબિર’ અને ‘પી.એમ. સ્વનિધિ મહોત્સવ’ યોજાયો હતો. જન કલ્યાણ શિબિર અંતર્ગત નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરવા, આધાર કાર્ડ, રેશનકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોને લગતી કામગીરી માટે સ્થળ પર જ સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, જન કલ્યાણ શિબિરના માધ્યમથી નાગરિકો આરોગ્યલક્ષી, આવાસિય, ખેતી, શિક્ષણ, ફ્રી શીપ કાર્ડ સહિતની અનેકવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ મેળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યુ છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાના વેપારીઓ, લારી-ગલ્લા ચલાવતા શ્રમિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો તેમજ તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ અનેક નાના વેપારીઓ અને ફેરિયાઓને વિના ગેરંટીની લોન સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.




