સમગ્ર ભારતમાં ૩જી ઓગષ્ટ ભારતીય અંગદાન તરીકે ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તેવા ઉમદા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આજરોજ નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં અંગદાન ક્ષેત્રે કાર્યરત એન.જી.ઓ., સામાજિક સંસ્થાઓ, ટ્રાન્સપ્લાન્ટ થયેલ દર્દીઓ તથા તેમના સંબધિઓ તેમજ અંગદાનક્ષેત્રે કામ કરતી દેશની મોટી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, જનજાગૃતિની કામ કરતા પોલીસ વિભાગ, મીડિયા જગતના મિત્રોને ૨૧ કેટેગરીમાં નવી દિલ્હી આંબેડકર ભવન ખાતે કેન્દ્રીય રાજયકક્ષાના આરોગ્ય મંત્રી અનુપ્રિયા પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ગુજરાતની અમદાવાદ સિવિલની ટીમના સુપ્રિન્ડેન્ડન્ટ ડો.રાકેશ જોષી તથા આઈ.કે.ડી.ના ડાયરેકટર ડો. પ્રાજલ મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સુરત સિવિલ હોસ્પિટલને શ્રૈષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી તથા જનજાગૃતિ માટેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં સિવિલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રીબેન પરમાર, ડો.પારૂલબેન વડગામા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ન્યુરોફિજીશ્યન ડો. હરેશ પારેખ તથા ઈમરજન્સ મેડીકલ વોર્ડ-ઈ.ઈકબાલ કડીવાલા સહિતને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બ્રેઈનડેડ થાય ત્યારે પરિવારજનો અંગદાન માટે સંમતિ આપે તેવા પ્રયાસોથકી બીજાના જીવનમાં રોશની આવે તે જ અમારી સાચી સેવા છેઃ તબીબી અધિક્ષક ડો.ધારિત્રીબેન પરમાર અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેરણા દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં અંગદાન જનજાગૃતિ અને અંગદાનક્ષેત્રે લોકો જાગૃત્ત થવાના કારણે રાજયભરમાં અંગદાનથકી અનેક લોકોના જીવનમાં નવી રોશની આવી છે. આ અમારો સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશેઃ ડો.પારૂલ વડગામા સમાજ, દર્દીના સ્વજનો અને તબીબો વચ્ચે કડીરૂપ બની બ્રેઈનડેડના કિસ્સામાં કાઉન્સેલ કરવું એ અમારી ફરજ છેઃ ઈકબાલ કડીવાલા સુરત સિવિલ હોસ્પિટલમાં ટોટલ ૫૯ અંગદાતાઓ પોતાના અંગો ડોનેટ કર્યા છે જેમાં ૨૦ આંખ, ૪૬ લિવર, ૧૦૦ કિડની, નવ હાથ, પ હાર્ટ, ૧૨ ફેફસા, એક પેનક્રિયાસ, છ નાના આંતરડા, રેડીયમ ફોરામ એક આમ કુલ ૨૦૦ જેટલા અંગોનું દાન પ્રાપ્ત થયું છે.
