રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી ગઈ છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ ગયો છે. કેદી ફરાર થતા જેલની સુરક્ષા વ્યવસ્થા, જેલ ઓથોરિટી અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટના માત્ર એક કેદીના ભાગી જવાની નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલમાં ચાલી રહેલા આંતરિક વિવાદો, કેદીઓ વચ્ચેના તણાવ અને સ્ટાફની બેદરકારીની વાતો ચર્ચાઇ રહી છે.
સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા દેવદત્તસિંહ ગોહિલે કેદીના ફરાર થવાની ફરિયાદ નોંધાવી છે. જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા. જ્યારે કેદીઓની ગણતરી કરવામાં આવી ત્યારે માત્ર 32 કેદીઓ મળી આવ્યા. કેદી માલદે પરમાર ગાયબ હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ જેલ તંત્રએ જેમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કેદીનો કોઈ પત્તો ન લાગતા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવીના ફૂટેજમાં માલદે પરમાર બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળીને જેલ સ્ટાફને ચકમો આપતો અને મેન ગેટની બહાર નીકળી જતો દેખાયો હતો.હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય કે રાજ્યની હાઈ સિક્યોરિટી જેલમાંથી એક આજીવન કેદની સજા ભોગવી રહેલો કેદી સહેલાઈથી બહાર કેવી રીતે નીકળી ગયો. તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર માલદે પરમાર સામાન્ય કેદી નહોતો. તેની સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા.
વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. પહેલા તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. માલદેની તબિયત બગડતા તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. વર્ષ 2025થી તે સાબરમતી જેલના બડા ચક્કર વિભાગમાં હતો.પાકા કામના કેદીઓ જેલની અંદર વિવિધ જવાબદારીઓ સંભાળતા હોવાથી તેમની અવરજવર સામાન્ય કેદીઓની તુલનાએ વધારે રહેતી હોય છે. જોકે સુરક્ષા પ્રોટોકોલ મુજબ આવા કેદીઓ પર સતત નજર રાખવાની ફરજ જેલ સ્ટાફની હોય છે. તેમ છતાં માલદે પરમાર મેન ગેટ સુધી પહોંચી ગયો, તે માત્ર બેદરકારી નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી દર્શાવે છે. આ ઘટનાએ જેલમાં ચાલતી આંતરિક વ્યવસ્થાને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ કરી છે.
કેદી ફરાર થઇ જવાની ઘટના અંગે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.આર. રબારીએ જણાવ્યું હતું કે કેદી જેલમાંથી નીકળીને કઈ તરફ ભાગ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જેલની બહાર અલગ અલગ CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.સાબરમતી સેન્ટ્રલ જેલ અને વિવાદોને ઘનિષ્ઠ સંબંધ છે. થોડાક દિવસ પહેલાં પણ સાબરમતી સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી હતી. જેલના ‘બડા ચક્કર’માં બે કેદીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. એક કેદીએ બીજા કેદીને ‘બાયલો’ કહીને ઉશ્કેરણી કરતા મામલો બિચક્યો હતો અને મારામારીમાં એક કેદીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. 6 મહિના પહેલાં ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદી ડોકટર અહેમદ મોહિયુદ્દીન અબ્દુલ કાદર જીવાની સૈયદ ઉપર સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ હુમલો કરાયો હતો. 10 દિવસના રિમાન્ડ પુરા થતા અહેમદ મોહિયુદ્દીનને નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો. જ્યાં સવારે 7 વાગ્યે તે સૂઈ રહ્યો હતો ત્યારે જ અન્ય 3 આરોપીઓએ તેને મૂઢ માર માર્યો હતો. જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.



