Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સિક્કિમમાં વરસાદનાં કારણે ભૂસ્ખલનની ઘટના બની : લાચુંગ અને ચુંગથાંગમાં 1678 પ્રવાસીઓ ફસાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદના કારણે પૂરની તારાજી સર્જાઈ છે. સિક્કિમમાં અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલનની દુર્ઘટના બની છે. જેના કારણે લાચુંગ અને ચુંગથાંગમાં 1678 પ્રવાસીઓ ફસાયા હતા. એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસને બચાવ અભિયાન હાથ ધરી તેઓને સુરક્ષિત પણે બહાર નીકળ્યા છે. મંગન જિલ્લાના છાતેનમાં એક સેનાની છાવણીમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ત્રણ જવાનોના મોત થયા હતા, જ્યારે છ જવાન હજુ ગુમ છે. લાચુંગમાં હજી 100થી વધુ લોકો ફસાયેલા છે. ડીજીપી અક્ષય સચદેવાએ પૂરની દુર્ઘટનાને ધ્યાનમાં લેતાં જણાવ્યું કે, અમુક પર્યટકોને લાચુંગમાંથી બહાર સુરક્ષિત સ્થળે ગંગટોક લઈ જવામાં આવ્યા છે. લાચેનમાં ફસાયેલા લોકોને પણ બચાવવાનો પ્રયાસ જારી છે.

ભારે વરસાદના કારણે મંગન જિલ્લામાં ભૂસ્ખલન થયું હતું. જેના લીધે રસ્તા બંધ થયા છે. છાતેનમાં સેનાની છાવણી પર ભૂસ્ખલન થતાં  લખનવિંદર સિંહ, લાંસ નાયક મુનિશ ઠાકુર અને પોર્ટર અભિષેક લખડાનું મોત થયું છે. છ જવાનો હજી ગુમ છે. તેમની શોધ થઈ રહી છે. બીઆરઓએ રોડ નેટવર્કને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરુ કરી છે. વાહનોના કાફલા ફંદાગ સુધી પહોંચ્યા છે. જેમાં સાતથી વધુ પુરુષ અને 561 મહિલાઓ, 381 બાળકો હતા. છેલ્લા ચાર દિવસથી પૂર્વોત્તર રાજ્યોમાં સતત મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારોમાં લગભગ 130 મિ.મી.થી વધુ વરસાદ પડ્યો છે. જેના લીધે લાચુંગ, ગુરુડોંગમાર, લાચેન ફૂલોની ખીણ જેવા ટોચના પ્રવાસન સ્થળો પ્રભાવિત થયા છે. તીસ્તા નદીમાં કરંટ વધ્યો છે. પાણીમાં મોજાંનું જોર વધ્યું છે. કુદરતી આફતના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. લાચેનમાં બે પુલ પડી ભાંગ્યા છે. લાચેન અને લાચુંગ જતાં રસ્તાઓનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. ભારતીય સેના, એનડીઆરએફ અને પોલીસની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. હજી છ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદના કારણે રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!