આજે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. પાવન પૂનમના દિવસે આજે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં રક્ષાબંધન પર્વ ઉત્સાહભેર ઉજવાયો હતો. આજે સવારે પુજારી પરિવારની મહિલાઓ દ્વારા ભસ્મ આરતી બાદ ભગવાન મહાકાલને રક્ષા બાંધવામાં આવી. ત્યારબાદ ભગવાન મહાકાલને રક્ષાબંધન નિમિત્તે સવા લાખ લાડુઓનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રસાદીનું વિતરણ ભક્તોને વહેલી સવારે જ શરૂ થઈ ગયું હતું. મહાકાલના દર્શન કરવા આવેલા દરેક ભક્તને આ મહાભોગનો લાભ મળ્યો હતો. મંદિરના પવન પુજારી જણાવે છે કે દર વર્ષે શ્રાવણ શુક્લ પૂર્ણિમા, એટલે કે રક્ષાબંધનના દિવસે, પુજારી પરિવાર દ્વારા ભગવાન મહાકાલને ભક્તિપૂર્વક રક્ષા બાંધી પૂજન કરવામાં આવે છે અને મહાભોગ તરીકે સવા લાખ લાડુ અર્પણ કરવામાં આવે છે. આજ સવારે ૩ વાગ્યે ભગવાન મહાકાલની ભસ્મ આરતી શરૂ કરવામાં આવી. આ દરમ્યાન પ્રથમ જયારે ભગવાન મહાકાલને જલાભિષેક કરાયો, ત્યારબાદ પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ ભસ્મ આરતી અને આકર્ષક શૃંગાર કરવામાં આવ્યો. શૃંગાર પછી, પુજારી પરિવારની મહિલાઓ દ્વારા વૈદિક રીતિ-રીવાજ અનુસાર રક્ષા બંધાઈ.આ રક્ષા સામાન્ય નહીં, પરંતુ ખાસ રીતે તૈયાર કરાયેલી વૈદિક રક્ષા હતી, જે લવિંગ, એલચી, તુલસીના પાંદડા અને બિલ્વપત્રની મૂળોથી, મંત્રોચ્ચાર સાથે બનાવવામાં આવી હતી. મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહ તેમજ નંદી હોલને રંગબેરંગી ફૂલો વડે સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા, જેના કારણે આખું મંદિર આકર્ષક લાગી રહ્યું હતું.ભગવાન મહાકાલના દર્શન કરવા આવેલ ભક્તો મંદિરની સુંદર શોભા જોઈ ખુશ થયા અને મહાકાલની પ્રસાદી મેળવી સંતોષ અનુભવ્યો હતો.



