જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર એક સીનિયર ફેકલ્ટીને બરતરફ કરી દીધા છે. યુનિવર્સિટીએ લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. JNUના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કથિત ઘટના અમુક મહિના પહેલાં યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. યુનિવર્સિટીના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, આ કોઈ એક મામલો નથી, પ્રોફેસર સામે પહેલાં પણ અનેક ફરિયાદ મળી હતી. યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યે ઝીરો-ટૉલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે.
આ કાર્યવાહી કેમ્પસની સુરક્ષા અને જવાબદેહી પર યુનિવર્સિટીના મક્કમ વલણને દર્શાવે છે. યુનિવર્સિટીના શૈક્ષણિક કાઉન્સેલિંગે લાંબી તપાસ બાદ આ નિર્ણય લીધો છે. જે યુનિવર્સિટીની સર્વોચ્ચ વૈધાનિક સંસ્થા છે. તપાસમાં જાણવા મળ્યું કે, જાપાની દૂતાવાસમાં કામ કરતી પીડિતા સાથે યુનિવર્સિટીના એક કાર્યક્રમ દરમિયાન ફેકલ્ટી મેમ્બર દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તે જાપાન જતી રહી અને આ મામલે ઔપચારિક ફરિયાદ નોંધાવી. રાજદ્વારીઓ દ્વારા આ બાબત ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવી હતી.
ત્યારબાદ તેને વિદેશ મંત્રાલય અને યુનિવર્સિટીને મોકલવામાં આવ્યું. આ મામલે તપાસ કર્યા બાદ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) એ આરોપોને સાચા ગણાવ્યા. ત્યારબાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલે કોઈપણ લાભ વિના બરતરફ કરવાની ભલામણ કરી. જોકે. આરોપી પાસે યુનિવર્સિટીની અપીલ સમિતિ સમક્ષ અપીલ કરવાનો તેમજ કોર્ટમાં જવાનો અધિકાર છે. દરમિયાન, એક સંશોધન પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો બાદ પર્યાવરણ વિજ્ઞાન વિભાગના અન્ય એક ફેકલ્ટી સભ્યને બરતરફ કરવામાં આવ્યા હતા. હવે આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવામાં આવ્યો છે. સંશોધન પ્રોજેક્ટ પર ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીના અહેવાલ બાદ બે બિન-શિક્ષણ સ્ટાફ સભ્યોને પણ બરતરફ કરવામાં આવ્યા છે.
