વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. પ્લાન્ટના ઉત્પાદન વિભાગમાં પીગળેલા ગરમ સ્ટીલના લીકેજ બાદ સર્જાયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 8 મજૂરોના કરુણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી અનુસાર, સ્ટીલ પ્લાન્ટના એસએમએસ-2 અને એસટીસી-3 હીટ એફજી વિભાગમાં કામગીરી દરમિયાન ક્રેઈનની મદદથી લિક્વિડ સ્ટીલનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન લગભગ 1,600 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ધરાવતી સ્ટીલ ભરેલી લેડલમાં અચાનક ખામી સર્જાતા લીકેજ થયું, જેના કારણે ઉકળતું સ્ટીલ આસપાસ કામ કરતા મજૂરો પર વરસ્યું હતું.અચાનક સર્જાયેલી ઘટનાથી સમગ્ર પ્લાન્ટમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાક્ષીઓના જણાવ્યા મુજબ, જીવલેણ ગરમી અને સ્ટીલના છાંટાથી બચવા માટે મજૂરોમાં ભાગદોડ મચી ગઈ હતી. કેટલાક કર્મચારીઓએ પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક સ્થળ છોડવાનો પ્રયાસ કર્યો હતો.
દુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્ટીલ પ્લાન્ટ વિસ્તારના સર્કલ ઈન્સ્પેક્ટર કેશવ રાવે જણાવ્યું હતું કે બચાવ ટીમોએ ઝડપથી કામગીરી હાથ ધરી હતી અને ઘાયલ કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આંધ્ર પ્રદેશના ગૃહ પ્રધાન વંગલાપુડી અનીતાએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક ચર્ચા કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ગૃહ પ્રધાને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચના આપી હતી.બીજી તરફ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન N. Chandrababu Naiduએ પણ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવા તથા ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.દુર્ઘટના બાદ ભારે ઉદ્યોગો અને સ્ટીલ ઉત્પાદન એકમોમાં અમલમાં રહેલા સુરક્ષા ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉચ્ચ તાપમાન સાથે કામ કરતી ઔદ્યોગિક એકમોમાં સલામતીના નિયમોનું પાલન કેટલું અસરકારક રીતે થઈ રહ્યું છે તે મુદ્દે ચર્ચા તેજ બની છે.પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને લેડલમાં ખામી સર્જાવાના ચોક્કસ કારણો જાણવા ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.




