રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ આજે એટલે કે 5મે સોમવારે જાહેર કરાયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.
જયારે વિજ્ઞાન પ્રવાહમાં 92.91 ટકાવારી સાથે મોરબી જિલ્લો મોખરે, જ્યારે 59.15 ટકાવારી સાથે દાહોદ જિલ્લો સૌથી છેલ્લે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધુ 96.60 ટકા પરિણામ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34 સ્કૂલોનું 10 ટકાથી ઓછું પરિણામ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલનું 100 ટકા પરિણામ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી ઓછું દાહોદ કેન્દ્રનું 54.48 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠાનું સૌથી વધુ પરિણામ 97.20 ટકા અને સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું પરિણામ 87.77 ટકા આવ્યું.
વેબસાઈટ પર પરિણામ આ રીતે જોઈ શકાશે…
સૌથી પહેલાં GSEBની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જાવ, હોમપેજ પર HSC Result 2025 લખેલું દેખાશે તે લિંક પર ક્લિક કરો. હવે તમને રિઝલ્ટ લોગઈનનું પેજ જોવા મળશે, હવે તમારો સીટ નંબર એન્ટર કરો. તમારા એડમિટ કાર્ડ પર જે રીતે સીટ નંબર લખ્યો હોય તે એન્ટર કરો, ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો, તમારા દરેક વિષયના માર્ક અને ઓવરઓલ સ્કોર જોવા મળશે. તમે તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કઢાવી શકશો. ત્યાર બાદ તમને શાળામાંથી સત્તાવાર માર્કશીટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા સીધા તેમના ફોન પર પણ પોતાનું રીઝલ્ટ મેળવી શકશે. વિદ્યાર્થીઓ તેમના GSEB રીઝલ્ટ 2025 WhatsApp દ્વારા 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને મેળવી શકે છે, જીએસઈબીની હાયર સેકન્ડરીના સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 17 માર્ચ 2025ના રોજ પૂરી થઈ હતી. જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને તારીખ 10 માર્ચ 2025 નારોજ પૂરી થઈ હતી. રિઝલ્ટ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.
