Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારની ઉધઈ કેટલી હદે ઘર કરી ગઈ છે તેનો વધુ એક પુરાવો તાપી જિલ્લાના ડોલવણ તાલુકા સેવાસદનમાંથી સામે આવ્યો છે. પ્રજાના સેવક ગણાતા અને સરકારી તિજોરીમાંથી તગડો પગાર મેળવતા અધિકારીઓ કાયદેસરના કામ માટે પણ લોકોના ખિસ્સા ખંખેરવામાં જરાય શરમ અનુભવતા નથી. ડોલવણ મામલતદાર કચેરીમાં ડિઝાસ્ટર અને મહેસુલ વિભાગના ચાર્જમાં બેઠેલા વર્ગ-૩ ના નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા ને ACB એ ૨૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ દબોચી લીધા છે.

ઘટનાની વિગત એવી છે કે એક જાગૃત નાગરિકે ડોલવણ કમલાપોર ગામની બ્લોક નંબર-૩૮ વાળી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદવા માટે વેચનાર પાસેથી લેખિત સંમતિ મેળવી હતી. આ જમીનને જરાયત (સૂકી ખેતી) માંથી બાગાયતીમાં તબદીલ કરવાની કાયદેસરની એન્ટ્રી કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીમાં અરજી કરવામાં આવી હતી.પરંતુ, પોતાની ફરજ પ્રત્યે વફાદાર રહેવાને બદલે નાયબ મામલતદાર પાર્થેશકુમાર કટારાએ આ સીધી અને સરળ કામગીરી કરવાના અવેજ પેટે અરજદાર પાસે ૨૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જાણે લાંચ લેવી એ એમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ તેઓ અડીને બેસી ગયા હતા.

અરજદાર આ ભ્રષ્ટાચારી અધિકારી સામે ઝૂકવા માગતા નહોતા અને પોતાના હકના કામ માટે એક પણ રૂપિયો હરામનો આપવો મંજૂર નહોતો. જેથી તેમણે તાત્કાલિક એ.સી.બી. નો સંપર્ક કરી સમગ્ર મામલાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે સુરત ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી.ધોબી અને તેમની ટીમે આજે (૩૦ જૂન ૨૦૨૬ના રોજ) તાલુકા સેવાસદનમાં જ નાયબ મામલતદારની ઓફિસમાં લાંચનું છટકું (Trap) ગોઠવ્યું હતું. ભ્રષ્ટાચારના નશામાં ચૂર નાયબ મામલતદારે જેવી ફરિયાદી પાસેથી રૂ. ૨૫,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ ટાંપ મારીને બેઠેલી એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એ.સી.બી.એ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લાંચિયો અધિકારી એ.સી.બી.ના સકંજામાં આવતા જ સેવાસદનના અન્ય ભ્રષ્ટ બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાગૃત નાગરિકના એક હિંમતભર્યા પગલાએ સાબિત કરી દીધું છે કે જો જનતા ધારે તો આવા સરકારી ઉધઈ જેવા અધિકારીઓને તેમની સાચી જગ્યા બતાવી શકે છે.