ડોલવણથી વ્યારા તરફ જતા નેશનલ હાઈવે નંબર ૫૬ પર બામણામાળ ગામની સીમમાં એક અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ સવાર બે આધેડ મિત્રોના મોત નીપજ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
મળતી માહિતી મુજબ, મોટી કાજણ ગામના સરપંચ ફળિયામાં રહેતા નરેન્દ્રભાઈ મંછાભાઈ ચૌધરી (ઉં.વ.૬૫) અને તેમના મિત્ર અનિલભાઈ બાબુભાઈ ચૌધરી (ઉં.વ. ૪૫, રહે.ધાટગામ) ગત ૧૦ જૂનના રોજ રાત્રે આશરે નવેક વાગ્યે મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમની મોટરસાયકલને અડફેટે લેતા બંને રોડ પર પટકાયા હતા.
આ અકસ્માતમાં નરેન્દ્રભાઈ અને અનિલભાઈને શરીરે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાહદારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંનેને તાત્કાલિક વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન નરેન્દ્રભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્યો હતો.આ અંગે મૃતક નરેન્દ્રભાઈના પુત્ર દેવદતભાઈ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.




