તાપી જિલ્લાના કુકરમુંડાના કોરાલા અને નિઝર ગામે ગુરુવારે રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે ઉકાઈ જળાશય આધારિત ‘સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના’ના પાણીના નીર વધામણાં કર્યા હતા. તેમણે પવિત્ર જળનું પૂજન કરી ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને સમયસર સિંચાઈ સુવિધા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરાયેલી રૂ. 962 કરોડની આ યોજના હેઠળ નિઝર અને કુકરમુંડા તાલુકાના 59 ગામોની આશરે 32,500 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. તેમણે જણાવ્યું કે અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું સરકારનું સ્વપ્ન હવે સાકાર થયું છે.




