અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઈંગે બેંગ્લુરૂમાં પોતાના એન્જિનિયરિંગ ટેક્નોલોજી સેન્ટરમાંથી 180 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતાં. આ છટણી કંપનીની ગ્લોબલ વર્કફોર્સમાં ઘટાડાની કવાયતના ભાગરૂપે કરવામાં આવી છે. વૈશ્વિક સ્તર પર અનેક પડકારોનો સામનો કરી રહેલી બોઈંગના ભારતમાં આશરે 7000 કર્મચારીઓ છે. ભારત કંપની માટે ટોચના બજારો પૈકી એક છે.
સુત્રો પાસેથી મળતી, બોઈંગની વૈશ્વિક સ્તરે વર્કફોર્સ ઘટાડવાની કવાયતના ભાગરૂપે બેંગ્લુરૂમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ ટેક્નોલોજી સેન્ટરમાંથી 180 કર્મચારીઓને ડિસેમ્બર ત્રિમાસિક, 2024માં જ હાંકી કાઢ્યા હતા. ગ્રાહકો તથા સરકારી કામકાજો પર તેની કોઈ પ્રતિકૂળ અસર ન થાય તે હેતુ સાથે તેમણે મર્યાદિત સંખ્યામાં વ્યૂહાત્મક એડજસ્ટમેન્ટ કર્યા હતા. ઉલ્લેખનીય છે, આ મામલે બોઈંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી. બેંગ્લુરૂ અને ચેન્નઈમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર (BIETC) જટિલ એડવાન્સ્ડ એરોસ્પેસ વર્ક કરે છે. બેંગ્લુરૂમાં કંપનીની સંપૂર્ણ માલિકીનું એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર અમેરિકાની બહાર સૌથી મોટા રોકાણો પૈકી એક છે. ભારતમાંથી બોઈંગ 300થી વધુ સપ્લાયર્સ નેટવર્ક સાથે વાર્ષિક રૂ.1.25 અબજ ડોલરનું સોર્સિંગ કરે છે.
