આગામી તા.૭મી મે ના રોજ લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. મતદાનના દિવસે દરેક વ્યકિત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે તેવા શુભ આશય સાથે કોઈપણ વ્યાપાર, ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે કોઈપણ સંસ્થામાં નોકરી કરતા કામદારોને સવેતન રજા મળશે.
ગુજરાત દુકાનો અને વાણિજ્ય સંસ્થા અધિનિયમ- ૨૦૧૯, કારખાના અધિનિયમ -૧૯૪૮ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ -૧૯૯૬ તથા કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી)ની જોગવાઇ અનુસાર સવેતન રજા આપવાની રહેશે તથા શ્રમયોગીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં.
જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો/શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુક્શાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમય દરમ્યાન ત્રણથી ચાર ક્લાકના સમયગાળામાં વારા-ફરતી સવેતન રજા આપવાની રહેશે.
જો કોઇ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇને વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઇઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારીશ્રી-માઇગ્રેટરી ઇલેક્ટર્સનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે. લેબર ઓફિસર, સરકારી શ્રમ અધિકારીની કચેરી, વ્યારા-તાપી (02626) 221070 સંપર્ક કરવા નોડલ ઓફિસર–માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને સરકારી શ્રમ અધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.



