રાજ્યમાં છેલ્લા ઘણા બધા દિવસોથી ભયાનક ગરમી પડી રહી છે. કેટલાય લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે, લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે હવામાન આગાહી કાર અંબાલાલ પટેલે આગામી 27થી 30 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રોહિણી નક્ષત્રના લીધે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 27થી 28મી તારીખના રોજ ભારે પવન ફૂંકાશે. હવે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો થશે અને 8મી જુનેઅરબ સાગર અને બંગાળની ખાડીમાં ડીપડીપ્રેશન થશે. આમ 8થી 14 જુન દરમિયાન અરબ સાગરમાં વાવાઝોડાંની સંભાવના છે.
જ્યારે 28મેથી પહેલી જુન સુધીમાં ચોમાસુ કેરળ પહોંચી જશે તેમ મનાય છે. તે આંદામાન નિકોબાર તો પહોંચી ગયું છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળ, બિહાર અને પૂર્વ ઉત્તર ભારતના ભાગમાં વાવાઝોડાને લીધે ભારે નુકસાન થશે. આ સાથે જ મુશળધાર વરસાદ થવાની શક્યતા પણ રહેશે. આ ઉપરાંત 120 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં હજુ ગરમીની અસર રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમીની અસર રહેશે. આગામી તારીખ 27 મેના રોજથી 30 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરુચ અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે.”



