સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં એક દીકરીના લગ્ન લેવાય એ પહેલા જ તેના કામદાર પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, સેલવાસના મસાટ ખાતે આવેલી સન પ્લાસ્ટિક કંપનીમાં ઓપરેટર તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 40 વર્ષીય અનિલ યાદવ (રહે.માસાટ, મૂળ બિહાર)ની ગત શુક્રવારે સાંજે કંપનીની અંદર કામ કરતી વખતે અચાનક તબિયત લથડતા તેઓ ગભરાટ સાથે ચક્કર ખાઈને પડ્યા હતા. જ્યાં સાથે કામ કરતા સહ કર્મચારીઓએ તાત્કાલિક કંપનીના સ્ટાફ ને જાણ કર્યા બાદ ખાનગી વાહન દ્વારા તેમને સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં રવિવારે મળસ્કે પાંચ વાગ્યાની આસપાસ અનિલ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.




