ગાંધીનગર શહેરના સેક્ટર 29માં આવેલી વસાહતમાં સાયન્ટીસ્ટના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી રોકડ અને ઘડિયાળ મળી 13 હજાર ઉપરાંતની ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરના ફેક્ટર 29માં આવેલી ઘ ટાઈપ વસાહતમાં રહેતા અને સેક્ટર 25 જીઆઇડીસી ખાતે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા વિવેક રમનલાલ શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તે છેલ્લા બે વર્ષથી તેમની પ્રોફેસર એવી વાગદત્તા મોમિતા ગોષ સાથે રહે છે.
તે ઘરે હતા અને ત્યારબાદ મોમિતા નોકરી પર ગઈ હતી અને ત્યારબાદ તે પણ મકાન બંધ કરીને નોકરીએ ગયા હતા. આ દરમિયાન બપોરના સમયે મોમિતા ઘરે પહોંચી ત્યારે ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાનું જણાયું હતું અને સામાન પણ અસ્ત વ્યસ્ત હતો. જેથી તેમણે ફોન કરતા વિવેકભાઈ તુરંત જ ઘરે આવી ગયા હતા અને જોતા ઘરમાંથી 4 હજાર રૂપિયા રોકડા એક ક્રેડિટ કાર્ડ, સ્માર્ટ વોચ, ઘડિયાળ તેમજ આટફિશિયલ ઘરેણા મળી કુલ 13 હજાર ઉપરાંતની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેના પગલે આ ઘટના સંદર્ભે સેક્ટર 21 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી.




