કામરેજમાં તગડું વ્યાજ વસૂલતા સુરત પુણા ગામનાં વ્યાજખોર સામે ગુનો દાખલ થતાં વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ ભૈરવ કોલોની રહેતા અજયભાઇ દામજીભાઇ વસાવાએ નાણાંભીડનાં પગલે સુરત પુણા ગામ ખાતે રહેતા મધુ ઉર્ફે માર્કંડરાય રાઘવભાઇ ચિત્રોડા પાસેથી દસ હજાર રૂપિયા 9 ટકાનાં વ્યાજે લીધા હતા.
તે સમયે મધુભાઈએ 1500 રૂપિયા કાપી બાકીના રૂપિયા રોકડા આપ્યા બાદ અજયભાઇએ લીધેલા રૂપિયા 10 હજાર પરત કરી દીધા હતા. જોકે પૈસા ચૂકવ્યા બાદ પણ વ્યાજના નાણાંની પઠાણી ઉઘરાણી કરાતી રહી છે. મધુ ચિત્રોડાના વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અજય વસાવા પાસે વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખી હેરાન કરતા અંતે મામલો કામરેજ પોલીસ મથકે પહોંચી ગયો હતો. બનાવ અંગે અજય વસાવાએ કામરેજ પોલીસ મથકમાં સુરત પુણા ગામના મધુ ચિત્રોડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.




