હિમાયલપ્રદેશમાં ભારે વરસાદે કેર વર્તાવ્યો છે. હાલમાં હિમાચલપ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ છે. કેટલીક ઈમારતોને નુકસાન પહોંચ્યુ છે તો કેટલાક લોકો લાપતા થયાના અહેવાલો છે. આ લોકોને શોધવા માટે હાલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મંત્રી વિક્રમાદિત્ય સિંહે મોટો દાવો કરતાં કહ્યું કે, ‘આ ઘટનામાં આશરે 50 લોકોના મોતની આશંકા છે. આ સાથે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ સત્તાવાર આંકડા જાહેર કરી શકાશે. ગત બુધવારના રોજ રાત્રે વાદળ ફાટવાથી હિમાચલના કુલ્લુ, મંડી અને શિમલામાં ભારે પૂર આવ્યું હતું. જેના કારણે લોકોને ભારે નુકસાન થયું છે અને મુસિબતનો સામનો કરવો પડ્યો હતો.
પૂર એટલું ભીષણ હતું કે, હિમાચલમાં સમેજ નામનું એક ગામ સંપૂર્ણપણે વહી ગયું હતું. સત્તાવાર રીતે આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાના સમાચાર છે, પરંતુ હાલમાં જ હિમાચલના મંત્રી વિક્રમાદિત્ય સિંહે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, આ ઘટનામાં 50 લોકોના મોત થયા હોવાની આશંકા છે. અત્યારે સરકારની પહેલી સૌથી મોટી પ્રાથમિકતા રાજ્યના પૂર પ્રભાવિત ભાગોમાં મૃતદેહોને બહાર કાઢવા અને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા પર છે. અહીં પૂરમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્કયુ ઓપરેશન ચાલુ છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF), પોલીસ અને પોલીસના કુલ 410 બચાવકર્મીઓ ડ્રોનની મદદથી ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી ચાલું છે.
આ ઓપરેશનમાં હોમગાર્ડની ટીમો તહેનાત કરવામાં આવી છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે, સરકારે અસરગ્રસ્ત પરિવારોને તત્કાલ 50,000 રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે અને ભવિષ્યમાં તેમને વધુ વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે કે, અમને કેન્દ્ર તરફથી પણ સમર્થન મળવું જોઈએ. અમે સરકાર પાસે પણ આ જ માંગણી કરીએ છીએ. વિક્રમાદિત્ય સિંહે વધુમાં જણાવ્યું કે, શ્રીખંડ પર્વતની ટોચ પર 2-3 દિવસ પહેલા વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે રામપુર અને કુલ્લુના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. સીએમ સુખવિંદર સિંહ સુખુએ પણ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી.



