નર્મદા ડેમનાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં પહેલા ડેમના 9 ગેટ ખોલાયા હતા જે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ પડી ગઇ હતી. જેના લીધે ડેમમાંથી આશરે 243923 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
નર્મદા ડેમની વાત કરીએ તો ગતરોજ સાંજે તેની સપાટી 135.40 મીટરની આજુબાજુ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ સિઝનમાં પહેલીવાર 15થી વધુ ગેટ ખોલવાની ફરજ પડી છે. આ 15 ગેટ લગભગ 2.85 મીટર જેટલા ખોલાયા હતા. હાલ ઉપરવાસમાંથી 480233 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ગેટમાંથી 200000 ક્યૂસેક પાણી છોવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી 43932 ક્યૂસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23142 ક્યૂસેક વગેરે મળીને 345932 ક્યૂસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બંને કાઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.




