ગાંધીનગરનાં નભોઈ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. જોકે કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. કેનાલમાંથી કારને પણ બહાર કાઢી લેવામાં આવી છે. પોલીસની હાજરીમાં કારની તપાસ કરવામાં આવતાં તમામ લોકો અમદાવાદના નિકોલ વિસ્તારના ખોડિયારનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતીની ઓળખ ખુશી તરીકે કરવામાં આવી છે, જ્યારે યુવકનું નામ હર્ષ બારોટ છે.
અન્ય એક મૃતકની ઓળખ બાકી છે તેમજ અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કેનાલમાં પાણીના પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરના નભોઇ ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં અચાનક કાર ખાબકતાં કારમાં સવાર પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા છે. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક યુવતી સહિત ત્રણ લોકોની લાશ બહાર કાઢી છે.
જ્યારે અન્ય બે લોકોની શોધખોળ ચાલી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઇ નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે. અકસ્માતનાં પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને બૂમરાડ મચાવી હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિષ્ફળતા હાથ લાગી હતી. હાજર એક શખ્સે જણાવ્યું હતું કે, સામેથી તરફથી આવી રહેલી કાળા કલરની કિયા સેલ્ટોસ કાર પૂરપાટ આવી હતી અને અચાનક કેનાલમાં ખાબકી ગઇ હતી. આ કારમાં પાંચ લોકો સવાર હતા. હોમગાર્ડના જવાને દોરડું બાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.
