ઝારખંડનાં રામગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને હજુ સાત લોકો કાટમાળમાં ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ કોલસાની ખાણ ગેરકાયદે હતી, કારણ કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડએ અહીં કોલસાની ખાણનું કામ બંધ કરી દીધું હતું, તેમ છતાં કોલસાની ખાણમાં આઠ લોકો કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન ભારે વરસાદના કારણે કોલસાની ખાણ અચાનક ધસી પડી હતી. જેના કારણે ખાણમાં કામકરતા આઠ જેટલા શ્રમિકો ફસાયા હતા. જેમાંથી ત્રણનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાહત અને બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોની ઓળખ કરમાલી, ઇમ્તિયાઝ અને નિર્મલ મુંડા તરીકે થઈ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. JCB અને અન્ય મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે જેથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. અગાઉ ધનબાદમાં પણ જમીન ધસી પડવાનો ઘટના બની હતી. જમીન ધસી પડવાથી પાંચ ઘરોને નુકસાન થયું. આમાંથી એક ઘર સંપૂર્ણપણે ધ્વસ્ત થયું હતું. સદભાગ્યે ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. બધા ઘરની બહાર હતા, તેથી કોઈ જાનહાનિના થઈ ન હતી.
