મહારાષ્ટ્રનાં નાશિકમાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે, જ્યાં કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં સાત લોકોના મૃત્યુ નીપજ્યાં થયા છે અને 2 અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહ કબજે કરીને તપાસ હાથ ધરી છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ નાસિકના ડિંડોરી રોડ પર વાણી પાસે સર્જાયો હતો. પોલીસના જણાવ્યાનુસાર, કાર અને બાઇક અથડાયા બાદ બંને વાહનો રસ્તાની બાજુમાં એક નાળામાં પડી ગયા હતા. મૃતકોમાં 3 મહિલાઓ, 3 પુરૂષો અને એક 2 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ 28 વર્ષીય દેવીદાસ પંડિત ગાંગુર્ડે, 23 વર્ષીય મનીષા દેવીદાસ ગાંગુર્ડે, 42 વર્ષીય ઉત્તમ એકનાથ જાધવ, 38 વર્ષીય અલકા ઉત્તમ જાધવ,45 વર્ષીય દત્તાત્રેય નામદેવ વાઘમારે), 40 વર્ષીય અનુસૂયા દત્તાત્રેય વાઘમારે અને 2 વર્ષીય ભાવેશ દેવુરડે તરીકે થઈ છે. અકસ્માત બાદ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને વાહનોને નાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 19મી જૂને પુણે જિલ્લાના જેજુરી-મોરગાંવ રોડ પર પણ આવો જ અકસ્માત થયો હતો, જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
