ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. પંચમહાલ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ચેપના કેસ નોંધાયા છે. સત્તાવાર માહિતી મુજબ ત્રણ બાળકોના મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાને કારણે થયા છે, જ્યારે અન્ય શંકાસ્પદ કેસોની તપાસ અને સારવાર ચાલી રહી છે.
આ વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે અને સેન્ડફ્લાય (નાની માખી)ના કરડવાથી ફેલાય છે. શરૂઆતમાં તીવ્ર તાવ, ઉલ્ટી, ઝાડા અને શરીરમાં ખેંચ જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં બાળક બેભાન પણ થઈ શકે છે. આવા લક્ષણો જણાય તો 24થી 48 કલાકની અંદર તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.
આરોગ્ય વિભાગે લોકોને ઘરની તિરાડો પૂરી દેવા, સ્વચ્છતા જાળવવા, બાળકોને જંતુનાશક મચ્છરદાનીમાં સુવડાવવા અને લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર હોસ્પિટલનો સંપર્ક કરવાની સલાહ આપી છે. સાથે જ ઘરગથ્થુ ઉપચારમાં સમય ન બગાડવાની પણ અપીલ કરવામાં આવી છે.ચાંદીપુરા વાયરસ પ્રથમ વખત 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ઓળખાયો હતો. ત્યારબાદ 2003માં ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તેનો મોટો રોગચાળો જોવા મળ્યો હતો.




