કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મોટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના જેવા દિશા નિર્દેશ પાલન કરવાની સલાહ આપી છે. આ દિશા હવે કેટલીક રાજ્ય સરકારો દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર કોરોના પ્રોટોકોલ લાગુ કરવાના પગલા ભર્યા છે. આ સિવાય ગુજરાત સહિત છ રાજ્ય સરકારો પણ એલર્ટ જોવા મળી છે.
ચીનમાં ફેલાયેલી બીમારીના સતત વધતા કેસ જોઈ રાજ્ય સરકાર પણ સતર્ક થઇ ગઈ છે. રાજ્ય સરકારે આ પરિસ્થિતિ આવે તે પહેલા જ બચવા એક માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલ તંત્ર માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને બેડની સુવિધા, મેડિકલ-દવાઓના જથ્થાની ઉપલબ્ધતાની ખાતરી કરવાની સૂચના આપવામાં આવી છે.
શ્વાસ લેવામાં તકલીફ સંબંધિત કેસને ઉતરાખંડ સરકારે પણ એલર્ટ રહેવાની સલાહ આપી છે. સરકારે નિયમિત પણે હાથ સાફ રાખવા અને બિનજરૂરી ચહેરાના સ્પર્શને ટાળવાની સલાહ આપી છે. ઉતરાખંડમાં ભયનો માહોલ વધુ છે કારણ કે તેના ત્રણ જીલ્લાઓ ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીનની સરહદને અડીને આવેલ છે.
કર્ણાટક આરોગ્ય મંત્રાલયે મોસમી તાવ, શરદી અને ઉધરસથી બચવા લોકોને કોરોનાના દિશાનિર્દેશનું પાલન કરવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયએ જણાવ્યું છે કે, ખાંસી અને છીંકતી વખતે નાક અને મોં ઢાંકીને રાખો. આ સિવાય સતત હાથ ધોવાનું રાખો. વારંવાર ચહેરાને સ્પર્શ કરશો નહીં. તેના સિવાય જાહેર જગ્યાઓ પર માસ્ક ઉચિતથી પહેરો.
હરિયાણાના આરોગ્ય વિભાગે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો માટે દિશાનિર્દેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ શ્વાસ સંબંધિત બીમારી સાથે દર્દી આવે તો તેની માહિતી તરત જ સરકારને કરવી અનિવાર્ય છે.




