વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી વર્ષ-૨૦૨૫ સુધી ટીબી રોગની નાબુદી માટે નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત ‘ટીબી હારેગા,દેશ જીતેગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે અનેકવિધ યોજના અમલી છે, જેના થકી ક્ષય જેવા ગંભીર રોગથી પિડાતા દર્દીઓને ઉતમ પ્રકારની સારવાર મળે અને તેઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપળા ગામમાં રહેતા ૨૩ વર્ષીય ઉમેશભાઈ નવીનભાઈ કોળધાએ મહુવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સતત છ મહિના સારવાર લઈ ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો છે.
ટી.બીની સારવાર દરમિયાન સ્વઅનુભવ વર્ણવતા ઉમેશભાઈ કોળધા જણાવે છે કે, મારો મધ્યમર્વીય પરિવાર છે, ખેતમજુરી કરીને ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. ઘણા સમયથી મને ખાંસીની સમસ્યા હતી, જેના કારણે છાતીમાં દુ:ખાવો ધીરે ધીરે વધતાં અસહ્ય પીડા થવા લાગી. ત્યારબાદ સારવાર માટે નજીકના મહુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવતા ટી.બી. હોવાનું નિદાન થયું. શરૂઆતમાં હું ગભરાઈ ગયો. પરંતુ પ્રા.આરોગ્ય કેન્દ્રના તબીબો અને આરોગ્યકર્મીઓએ મને જણાવ્યું કે, ટીબીને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય છે. જેથી સતત છ મહિનાની સારવાર લઈને આજે હું ટી.બી મુક્ત થયો છું. સારવાર દરમિયાન આરોગ્યકર્મીઓ દ્વારા સંપુર્ણ ધ્યાન રાખી નિયમિત દવા આપી મને ગંભીર બિમારીમાંથી મુક્ત કર્યો છે. પરિવારના સભ્ય જેવી મારી સાર-સંભાળ આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ લીધી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, દવા અને પૌષ્ટિક આહાર થકી ટીબી રોગ સામે લડવાની શક્તિ વધે તેવા ઉદ્દેશ્યથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ.૫૦૦ની આર્થિક સહાય મળી છે. જેનાથી ટી.બી સારવાર દરમિયાન સુવ્યવસ્થિત રીતે પૌષ્ટિક આહાર લઈ શક્યો છું. અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારના આરોગ્યની ચિંતા કરતી સરકારનો હર હંમેશ આભારી રહીશ તેમ મહુવાના તરસાડી ખાતે યોજાયેલા પી.એમ. જનમન કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું.




