તારીખ 22 જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. આ દિવસને યાદગાર બનાવવા લોકો અલગ અલગ આયોજન કરતા રહે છે. એવામાં ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરામાંથી 2 જાન્યુઆરીએ 40 લોકોની એક ટીમે દોડતા દોડતા અયોધ્યા જવાની શરૂઆત કરી હતી. હાલ આ ટીમ મધ્યપ્રદેશના ગુના શહેર પહોંચી છે. આ સમગ્ર આયોજન પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. દોડીને રામલલ્લાના દરબાર પહોંચવા નીકળેલા 30 યુવાનોમાં ચાર છોકરીઓ અને 25 છોકરાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેમની સાથે એક કોચ અને તેમના માટે ખાવા-પીવાની તેમજ અન્ય વ્યવસ્થા જોવા માટે 10 સેવકો પણ છે. આ 40 લોકોની ટીમ 1430 KMની યાત્રા કરીને અયોધ્યા પહોંચશે. આ બધા સભ્યો સનાતન ધર્મની આસ્થાનો ધ્વજ લઈને અને ‘જય શ્રી રામ’નાં નારા લગાવીને અયોધ્યા જવા માટે ઘરેથી રવાના થયા છે. આ રામ ભક્તોએ કહ્યું કે 1430 કિલોમીટરની, 20 દિવસની યાત્રા દરમિયાન તેઓ દરરોજ 60થી 70 કિલોમીટરની મુસાફરી કરી રહ્યા છે, જેથી તેઓ સમયસર અયોધ્યા પહોંચી શકે. તેઓ તારીખ 21 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચે તેવી શક્યતા છે. હાલ આ ટીમે અડધું અંતર કાપી લીધું છે. તેમનો આ યાત્રાનો હેતુ સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે.



