છેલ્લા 25 દિવસ પહેલા ગુમ થયેલ અબ્રામા ગામના યુવકની દાંટી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે યુવકની હત્યા થઈ હોવાની શંકા પોલીસને જતા ત્રણ શકમંદોની પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાનાં અબ્રામા ગામે મોહમ્મદ નિસાર કાપડિયા તેમના પરિવાર સાથે રહેતો હતો. મોહમ્મદ નિસાર 25 દિવસ અગાઉ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. તે દરમિયાન નિસાર પરત ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.
પરંતુ નિસારનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારજનોએ જલાલપોર પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે નિસારની શોધખોળ હાથ ધરી હતી. જયારે સવારે જલાલપોર પોલીસને અબ્રામા ગામેથી દાંટી દેવાયેલી હાલતમાં નિસારની લાશ મળી આવી હતી. જેથી પોલીસે નવસારી ડીવાયએસપી,, ડોક્ટર અને પરિવારજનોની હાજરીમાં નિસારની દાંટી દેવાયેલી લાશ બહાર કાઢી પી.એમ. અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટના બાબતે નિસારની હત્યા થઈ હોવાની શંકા પોલીસને ગઈ હતી. જેના પગલે પોલીસે ત્રણ શંકાસ્પદ ઈસમોની પૂછપરછ હાથ ધરી છે. ઘટના અંગે જલાલપોર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




