ભારતમાં એન્ટિબાયોટિક્સ તથા એન્ટિમાઇક્રોબાયલ દવાઓના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે આ દવાઓ લખતી વખતે ડોક્ટરો માટે ચોક્કસ સંકેતો લખવાનું ફરજિયાત બનાવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS)એ દેશના તમામ મેડિકલ કોલેજો, મેડિકલ એસોસિએશનો અને ફાર્માસિસ્ટ એસોસિએશનના ડોક્ટરોને પત્ર લખીને આ અંગે અપીલ કરી છે. ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં દર્દીમાં જોવા મળતા લક્ષણો વિશે ચોક્કસ માહિતીની જરૂર હોય છે જેના માટે એન્ટિબાયોટિક્સ અથવા એન્ટિમાઇક્રોબાયલ દવા લખી છે.
કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, ડોકટરોએ આ દવાઓના દુરુપયોગ અથવા વધુ પડતા ઉપયોગને રોકવા માટે આ દવાઓના ઉપયોગનો ચોક્કસ હેતુ અથવા જરૂરિયાત સ્પષ્ટ સમજાવવી જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આ પગલાને એન્ટીબાયોટીક્સના વધુ પડતા ઉપયોગને રોકવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. ઘણી બધી એન્ટિબાયોટિક્સ લેવાથી શરીર એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્ટ (AMR) બની જાય છે. અહેવાલ અનુસાર, એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સને કારણે વર્ષ 2019માં વિશ્વમાં 12 લાખ 70 હજાર લોકોના મૃત્યુ થયા હતા અને દવા પ્રતિરોધક સંક્રમણના કારણે 49 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ડોકટરો અને તબીબી સંગઠનોને મોકલવામાં આવેલા પત્રમાં DGHSએ જણાવ્યું હતું કે ‘AMR આધુનિક દવાઓના ઘણા ફાયદાઓને જોખમમાં મૂકે છે. તે પ્રતિરોધક જંતુઓથી થતા સંક્રમણના અસરકારક નિવારણ અને સારવારને જોખમમાં મૂકે છે. પરિણામે લાંબી માંદગી અને મૃત્યુનું વધુ જોખમ.




