જમ્મુ-કાશ્મીરનાં રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલ.ઓ.સી. પર લેન્ડમાઈન બ્લાસ્ટના કારણે સેનાનો એક જવાન શહીદ અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના સવારે 10:30 વાગ્યે ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનના એરિયા ઑફ રિસ્પોન્સિબિલિટી (AOR)માં બની હતી. અહેવાલ અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સેનાના જવાનો એલ.ઓ.સી. પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન એક જવાનનો પગ લેન્ડમાઈન પર પડતા બાસ્ટ થયો હતો. જેમાં પંજાબના લુધિયાણા જિલ્લાના રહેવાસી અગ્નવીર અજય સિંહ શહીદ થયા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે જવાનોને આર્મીના એમઆઈ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને એરલિફ્ટ કરીને આર્મી કમાન્ડ હોસ્પિટલ, ઉધમપુર લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 21 ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના થાનામંડી-સુરનકોટ રોડ પર સૈનિકોને લઈ જઈ રહેલા ટ્રક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા.



