વ્યારાના મુસા ગામની સીમમાં નવા પુલના ડિવાઇડર સાથે મોપેડ અથડાતા ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાના પાનવાડી સ્થિત સીતારામ વીલામાં રહેતા અને મૂળ ડોલવણ તાલુકાના બેડચિત ગામના રહીશ વિપુલચંદ્રભાઈ માધુભાઈ ચૌધરી ગત તારીખ 02/02/2024નાં રોજ સાંજે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/21/AM/0472 લઈને મદાવ ગામે હેલીપેડ પાસે આવેલા પશુઓના તબેલા પર ગયા હતા.
ત્યાંથી રાત્રિના આઠેક વાગે પરત ઘરે આવતી વખતે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મુસા ગામની સીમમાં આવેલ નવા પુલ પર બનાવેલ ડિવાઇડર સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં વિપુલચંદ્રભાઈ ચૌધરીને માથાના ભાગે તથા જમણી આંખની ઉપર કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.




