વડોદરા નજીક ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે નેશનલ હાઇવે પર આવેલી એક હોટલની રૂમમાં અમદાવાદના વેપારીએ બેંકના રિકવરી એજન્ટો અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ભાવનગરમાં રહેતા કિશોરસિંહ હરિસિંહ સરવૈયાએ મંજુસર પોલીસ સ્ટેશનમાં જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના રિકવરીના માણસો સાહર ઈશ્વરભાઈ દેસાઈ, તેના પુત્ર વિશાલ અને જયેશ વાડીલાલ પટેલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો ભાઈ મહાવીરસિંહ કોરોના પહેલા ચાણક્ય પ્રી સ્કૂલની ફ્રેન્ચાઇઝી આપતા હતા કોરોનાના લીધે ફ્રેન્ચાઇઝી બંધ થઈ ગઈ હાલમાં તેમની પાસે ફ્રેન્ચાઇઝીમાં એક પણ સ્કૂલ નથી અને તેઓ યોગેશભાઈ સોની સાથે અમદાવાદમાં પાર્ટનરશીપમાં સીએસ કોર્પોરેશન નામની કંપની ચલાવી બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા હતા. તારીખ 22 ના રોજ હું ઘેર હતો ત્યારે મારા ભાઈના મિત્ર ભુપત ચાવડાએ ફોન કરી જણાવેલ કે મેં મહાવીરને ફોન કર્યો તે ઉપાડતા નથી લોકેશન જોતા વડોદરા આવે છે હું ત્યાં જવું છું તમે પણ આવો. હું ભાવનગરથી વડોદરા આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં ભુપતનો ફોન આવ્યો કે મહાવીરે હોટલ ટૂલિપની રૂમમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસ તેમની બોડીને સયાજી હોસ્પિટલ લઈ ગઈ છે.
બાદમાં હું પણ સીધો હોસ્પિટલ ગયો પોલીસે અમને મહાવીરના હસ્તાક્ષરથી લખેલી એક સુસાઇડ નોટ બતાવી જેમાં ઉલ્લેખ હતો કે જે પ્રી-સ્કૂલ ચાલતી હતી. તે કોરોનાના કારણે લાંબા સમય સુધી બંધ રહ્યાના હિસાબથી તેઓ આર્થિક સંકળામણમાં આવેલ અને બેંકના હપ્તા પણ ભરી શકતા ન હતા. આ અંગેની જાણ બેંકોને કરી હતી તેમ છતાં બેંકના અધિકારી અને રિકવરીના માણસો માનસિક ત્રાસ આપતા હતા. બેંકના વ્યવહાર સાચવવા બહારથી વ્યાજે પૈસા લાવેલ તે તમામ વ્યાજવાળાઓ પણ ત્રાસ આપતા હતા. વ્યાજનું પણ વ્યાજ ગણીને બહુ પૈસા થઈ ગયા હોવા છતાં ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. જના સ્મોલ ફાઇનાન્સ બેંકે તેમની વસ્ત્રાલની પ્રોપર્ટી પણ જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત તેમના મિત્ર જયેશ વાડીલાલ પટેલના નામે માત્ર લોન લેવા માટે શીલજનો એક બંગલો બાનાખત કર્યો હતો.પરંતુ જયેશની દાનત બગડી હતી અને મને ખોટી રીતે હેરાન કરી પોલીસ સ્ટેશનમાં મારી વિરૂધમાં અરજી કરી હતી.



