રાજ્યમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મોત થયું હતું. આ બાળકની રાજકોટની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત થયા છે.
તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત હજુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જ્યારે પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને તાવ આવતાં ખાનગી હૉસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી હોય છે.
જેમાં સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે, આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે, સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે, સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે, સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.



