તાપી જિલ્લાની મોરદેવી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો છે. મોરદેવી મતવિસ્તાર નંબર ૯ (ST અનામત) બેઠકના ભાજપના ઉમેદવાર જોસેફભાઈ કબીરભાઈ ગામીત સામે પ્રતિસ્પર્ધી અપક્ષ ઉમેદવારે ગંભીર કાનૂની આક્ષેપો સાથે રિટર્નિંગ ઓફિસરને લેખિત ફરિયાદ સોંપી છે.
અપક્ષ ઉમેદવાર કેવસિંગભાઈ ચૌધરીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરદેવી બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. ભાજપના ઉમેદવાર જોસેફભાઈ ગામીતે સોગંદનામામાં પોતાની જ્ઞાતિ ‘હિન્દુ ગામીત’ દર્શાવી છે. જોકે, ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસ્તવિકતામાં ઉમેદવાર ખ્રિસ્તી ધર્મ પાળે છે, જે બાબતના પુરાવા તરીકે ચર્ચના ફોટા અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં બંધારણીય આદેશ (Constitution (Scheduled Tribes) Order, 1950) ના પેરા ૩ અને ૪ નો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયનો અન્ય ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જનજાતિના અનામત લાભો માટે પાત્ર રહેતી નથી. વધુમાં, સુપ્રીમ કોર્ટના ‘કે.પી. મનુ વિરુદ્ધ સ્ક્રુટીની કમિટી’ જેવા મહત્વના ચુકાદાઓ ટાંકીને દલીલ કરવામાં આવી છે કે ધર્મ પરિવર્તનથી ST દરજ્જો આપોઆપ રદ થાય છે.ઉમેદવારી રદ કરવા અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે.અપક્ષ ઉમેદવારે ખોટી માહિતી આપવા બદલ જોસેફભાઈ ગામીતનું ઉમેદવારી પત્રક તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ (R.P. Act 1951) ની કલમ 125A હેઠળ ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ ઉમેદવાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં આ મામલે ચૂંટણી અધિકારી (રિટર્નિંગ ઓફિસર) સમક્ષ ન્યાયિક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી છે. આ વિવાદને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવવાની શક્યતા દેખાઈ રહી છે.




