વડોદરાના કરજણ તાલુકાના ને.હા.48 પરના હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક ઘૂસી જતાં બાઇક પર સવાર ભાઇ અને બહેનનાં મોત નીપજતાં હતા. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં પડેલી ટ્રકની પાછળ નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ધડાકાભેર ઘૂસી જતાં શરીરે જીવલેણ ઈજાઓને પગલે ભાઈનું ઘટના સ્થળે, જ્યારે બહેનનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પાલેજ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતાં વસીમ યુસુફભાઈ મન્સૂરી (ઉ.વ.22) અને તેમની પરિણીત બહેન સાહિસ્તા મન્સૂરી ભરૂચ પાસે વડદલા ખાતે આવેલી અશોક લેલન કંપનીમાં નોકરી કરતાં હતાં અને મોટરસાઇકલ લઈ અપ-ડાઉન કરતા હોવાનું જાણવા મળે છે. નિત્યક્રમ મુજબ ભાઈ-બહેન મોટરસાઇકલ સવાર થઈ ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન ને.હા.નં.48 પર કરજણના હલદરવા ગામ નજીક આવેલ ઇસ્મુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેક્નિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ હતી.
જેને પગલે બાઈકચાલક વસિમને શરીરે જીવલેણ ઈજા પહોંચતાં તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલી બહેન સાહિસ્તા મોઈન મન્સૂરી (ઉ.વ.24., મૂળ રહે.ચામેઠા, તા.નસવાડી)ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ ભરૂચ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે વડોદરા SSG ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




