અમરોલી-કોસાડ આવાસમાં સામાન્ય ઝઘડામાં તમાચો મારી દેનાર યુવકને ઢીક-મુક્કીનો માર મારી ચપ્પુના ઘા ઝીંકી રહેંસી નાંખ્યાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે. સુત્રો પાસેથી મળતી મહિતી મુજબ, કોસાડ આવાસ બિલ્ડીંગ નં. 32/એ/13માં રહેતો અને વરાછા મીનીબજારમાં રત્નકલાકાર તરીકે કામ કરતા ચંદ્રશેખર શૈલેષ નિષાદ (ઉ.વ.20., મૂળ રહે.બેલીપાર, તા.બાસગાંવ, ગોરખપુર, યુ.પી)ના ભાઇ સંદીપ ઉર્ફે કટેલો (ઉ.વ.26)નાને ગત રવિવારે આવાસમાં રહેતા ચિરંજીત શર્મા સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જેથી સંદીપે ચિરંજીતને એક તમાચો મારી દીધો હતો. જેથી ચિરંજીતે સંદીપને મારી નાંખવાની ધમકી આપી હતી.
દરમિયાનમાં ગત મોડી રાતે ચિરંજીત શર્મા અને તેના મિત્ર રોશની સહાની (બંને રહે.કોસાડ આવાસ, અમરોલી)નાએ આવાસની પાછળ ડી-માર્ટ વાળા રોડ ઉપર સંદીપને આંતરી ઢીક-મુક્કીનો માર મારવા ઉપરાંત ચપ્પુના ઘા ઝીંકી ભાગી ગયા હતા. જેને પગલે સંદીપ બેભાન થઇ ત્યાં જ ઢળી પડયો હતો અને લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું. સંદીપને ચપ્પુ માર્યાની જાણ ચંદ્રેશખરને કોસાડ આવાજમાં રહેતી તેની કાકીએ જાણ કરતા તુરંત જ દોડી ગયો હતો. સંદીપને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવતા તેને મૃત જાહેર કર્યો હતો. અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના બંને આરોપીની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ અગાઉ સંદીપ ટ્રેનમાંથી પડી જતા તેનો એક કપાઇ જતા તેનું નામ સંદીપ ઉર્ફે કટેલો પડી ગયું હતું.




