અમદાવાદનાં શાહપુરમાં અંધશ્રધ્ધાના કારણે ખૂની ખેલ ખેલાયો હતો એક વૃદ્ધ તેમના પરિવારજનો સાથે ધાબે સૂવા ગયા હતા. તેવામાં મધરાતે વૃદ્ધની પત્નીના મામાના દિકરો આવ્યો હતો. પિતરાઇ સાળાએ બનેવી જાદુટોણા કરતા હોવાની શંકા રાખીને બોલાચાલી કરી હતી અને અચાનક છરાના ઘા મારીને બનેવીની હત્યા કરી હતી. બનાવ અંગે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીનાં કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
શાહપુરમાં રેટિયાવાડી ખાતે આવેલા ત્રણ બંગલામાં રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે, મહિલાના પતિ રીક્ષા ડ્રાઇવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે રાત્રે મહિલા તેમના પતિ તથા દીકરી સાથે ધાબે સૂવા માટે ગયા હતા. આ તમામ લોકો વાતો કરતા હતા ત્યારે રાત્રે બારેક વાગ્યાની આસપાસ મહિલાના મામાનો પુત્ર આવ્યો હતો. મહિલાના પતિ સાથે તકરાર કરી હતી. ‘બનેવીને તું મને કેમ અવાર-નવાર જાદુટોણા કરીને હેરાન પરેશાન કરે છે’ તેમ કહીને બોલાચાલી કરીને પેટ અને હાથના ભાગે છરાના ઘા મારીને આંતરડા પણ બહાર કાઢી નાંખ્યા હતા.
વૃદ્ધે બુમાબુમ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા તે સમયે આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. વૃદ્ધને લોહી લુહાણ હાલતમાં પરિવારના સભ્યોએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગ શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, પી.સી.દેસાઇનાં જણાવ્યા મુજબ આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




