સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)એ નાણાકીય વર્ષ 2024માં તમામ ટોચની કંપનીઓના જૂથોમાં પોતાનો હિસ્સો ઘટાડીને શેરબજારમાં આવેલી તેજીનો પૂરેપૂરો લાભ લીધો છે. શેરબજારના ડેટા અનુસાર, હિસ્સો ઘટાડયો હોવા છતાં, તેના બાકીનાં હિસ્સાની કિંમત નોંધપાત્ર રીતે વધી છે. આ વર્ષનાં માર્ચ મહિના સુધીના શેર હોલ્ડિંગ ડેટા અનુસાર મુકેશ અંબાણીની માલિકીની કંપનીઓમાં LICમાં સૌથી વધુ રોકાણ છે, ત્યારબાદ ટાટા અને અદાણી જૂથની કંપનીઓ આવે છે. ગત શુક્રવારે બજાર બંધ થતાં, ટોચના જૂથોમાં એલઆઈસીનું એક્સ્પોઝર 37.5 ટકાના વધારા સાથે રૂ.4.39 લાખ કરોડ રહ્યું હતું.
મુકેશ અંબાણી જૂથની કંપનીઓમાં LICનાં રોકાણનું મૂલ્ય સૌથી વધુ રૂ.1.5 લાખ કરોડ હતું, જે ગયા વર્ષ કરતાં 34.2 ટકા વધુ છે. LICએ રિલાયન્સ ગુ્રપની કંપનીઓમાં તેનો હિસ્સો 6.37 ટકાથી ઘટાડીને 6.19 ટકા કર્યો છે. LICએ ટાટા જૂથની કંપનીઓમાં પણ તેનો હિસ્સો આ વર્ષે માર્ચ સુધીમાં ઘટાડીને 4.05 ટકા કર્યો હતો, પરંતુ તેનું મૂલ્ય વધીને રૂ.1.29 લાખ કરોડ થયું હતું. જૂન ક્વાર્ટર માટે શેરહોલ્ડિંગ ડેટા હજી ઉપલબ્ધ નથી. LICએ અદાણી ગુ્રપની કંપનીઓમાં તેનો હિસ્સો 4.27 ટકાથી ઘટાડીને 3.76 ટકા કર્યો છે. તેના હિસ્સાનું મૂલ્ય ગત શુક્રવાર સુધીમાં 49.2 ટકા વધીને રૂ.64,414 કરોડ થયું છે.
બજારના વિશ્લેષકો કહે છે કે શેર બજારોમાં સુધારો થતાં સરકારે LICમાં તેના 96.5 ટકા હિસ્સાનો એક હિસ્સો વેચવાનું વિચારવું જોઈએ જેથી કરીને આ રકમનો ઉપયોગ વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે થઈ શકે. સરકાર વિવિધ જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)માં તેના રોકાણ સાથે સોનાની ખાણ પર બેઠી છે. ધજો તે LICમાં 20-25 ટકા હિસ્સો વેચે છે, તો તે આવકનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અથવા અન્ય હેતુઓ માટે કરી શકે છે. ગત શુક્રવાર સુધીમાં LICનું કુલ બજાર મૂલ્ય રૂ.6.42 લાખ કરોડ હતું.




