ભોપાલથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા રવિવારે સવારે જયપુર એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાઇલટે સમયસૂચકતા દાખવી કોઈ જોખમ લીધા વિના વિમાનને સુરક્ષિત રીતે જયપુર ઉતાર્યું.
પ્રાથમિક માહિતી મુજબ વિમાનના એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની ચર્ચા છે, જોકે એર ઇન્ડિયા અથવા એરપોર્ટ પ્રશાસન તરફથી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. લેન્ડિંગ બાદ ટેકનિકલ ટીમ દ્વારા વિમાનની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ ખામીનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.



