ગાંધીનગર જિલ્લા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માત્ર 24 કલાકમાં ચાર યુવાન ડૂબી ગયાની ઘટના ઘટી હતી. બન્ને અલગ અલગ ઘટનામાં મૃતકો પિતરાઈ અને સગા ભાઈ થતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ લખાય છે ત્યાં સુધી બે યુવાનના મૃતદેહ મળ્યા હોવાનું અને અન્ય બેની શોધખોળ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ધોલેરાના વતની અને અમદાવાદમાં રહેતા સુનીલ આંબલીયા અને રોશન આંબલીયા પિતરાઈ ભાઈ હતા. વલાદ પાસે તેઓ ઊભા રહ્યા હતા અને કેનાલમાં હાથપગ ધોવા ગયા હતા, પરંતુ એક ભાઈનો પગ લપસતા તે તણાઈ ગયો હતો, તેને બચાવવા જતા બીજો ભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. તેમના દ્વારા સુનીલનો મૃતદેહ બહાર લવાયો હતો, પરંતુ રોશન હજુ લાપતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અન્ય એક ઘટનામાં અમદાવાદના નરોડામાં રહેતા બે સગા ભાઈ દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક આવેલી કેનાલમાં પડીને મૃત્યુ પામ્યા હતા. અહીં રહેતા નિખિલ અને નિરજ જયંતીભાઈ વાઘેલા કોઈ કારણોસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળા હતા. અહીં કેનાલ પાસે આવ્યા બાદ નિખિલે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેને બચાવવા જતા નિરજ પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે નિખલના મૃતદેહને શોધી કાઢ્યો હતો, પરંતુ નિરજ હજુ પણ લાપત્તા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આમ બન્ને પરિવારને યુવાન દીકરા ગુમાવતો વાતાવરણ ગમગીન બની ગયું હતું.



