મધ્ય ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ચાર જિલ્લાઓમાં ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હોવાની મુખ્ય ઇજનેરએ જણાવ્યું છે. આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
ભારે વરસાદને કારણે સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તેમણે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લાના ૨૮૮, ખેડાના ૮૮, આણંદના ૪૧ અને વડોદરા જિલ્લાના ૧૫૨ સહિત કુલ ૫૬૯ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે એમ.જી.વી.સી.એલ.ની ૫૩૬ ટીમોમાં ૧૭૦૬ જેટલા કર્મવીરો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઝડપભેર આ તમામ ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના સર્વગ્રાહી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



