જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી પાસેના બેઠા પુલ પરથી પાણી ફરી વળતાં અવરજવર બંધ થઇ ગઇ છે. રણમલ તળાવ સંકુલનાં ગેઇટ નં.4 પાસે કુમાર મંદિરવાળા ઢાળીયા પર એક જૂની દિવાલ ધ્વસ્ત થતાં અફરાતફરી મચી ગઇ હતી. લાખોટા તળાવમાં પુષ્કળ પાણી આવી જતાં ઘડિયાલી કૂવો ડૂબ્યો હતો.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર અન્નપૂર્ણા ચોકડી પાસેના બેઠા પૂલ ઉપર આજે સવારે રંગમતી ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હોવાથી પાણી ફરી વળ્યા છે, અને બેઠો પૂલ પાણીમાં ગરકાવ થયો છે.જેના કારણે જામનગર-કાલાવડ તરફનો ધોરી માર્ગ અવર જવર માટે બંધ થયો છે. હાલ આ બેઠા પૂલ ઉપરથી ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી વાહન વ્યવહાર અટવાયો છે.
જામનગરમાં રણમલ તળાવ સંકુલનાં ગેઇટ નં 4 પાસે કુમાર મંદિરવાળા ઢાળીયા પર એક જૂની દીવાલ ધ્વસ્ત થતાં અફરાતફરી મચી ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં જાનહાનિ કે કોઇને ઇજા થઇ ન હતી. દીવાલ સંલગ્ન મોટુ ઝાડ પણ અકસ્માતજનક સ્થિતિમાં હોય ફાયર શાખા દ્વારા ઝાડનાં જોખમી હિસ્સાને દૂર કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કરવતની મદદથી ડાળીઓ કાપીને દૂર કરી હતી. અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
જયારે જર્જરીત દીવાલનો હિસ્સો પણ સહી સલામત રીતે ખસેડી લેવામાં આવ્યો છે. જામનગરમાં રંગમતી ડેમના પાટિયા ખોલવામાં આવ્યો હોવાથી રંગમતી- નાગમતી નદીમાં પણ પાણીનો પ્રવાહ આવી ગયો હોવાથી દરેડની કેનાલમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે પાણીનો જથ્થો લાખોટા કોઠામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે લાખોટા તળાવ પણ ભરાઈ રહ્યું છે. આજે પણ મોટા પ્રમાણમાં લાખોટા કોઠામાં વિપુલ પ્રમાણમાં જળ રાશિ આવી હોવાથી આખરે ઘડિયાલી કૂવો ડૂબ્યો છ. અને તળાવના ત્રણેય ભાગોમાં ધીમે ધીમે પાણીનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે.




