ભારે હિંસા વચ્ચે બાંગ્લાદેશના વડાપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા બાદ ભારત આવેલા શેખ હસીના વધુ દિવસો સુધી ભારતમાં રહી શકે તેમ નથી. ભારત સરકાર દ્વારા શેખ હસીનાને વધુ સમય સુધી દેશમાં રાખવાથી બાંગ્લાદેશ સાથેના સંબંધો પર અસર થઇ શકે છે. જેને પગલે શેખ હસીના હવે મુસ્લિમ બહુમત દેશ સાઉદી અરબ અથવા તો યુએઇ જવાના પ્રયાસોમાં હોવાના અહેવાલો છે. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે કહ્યું હતું કે હજુ સુધી અન્ય કોણ પણ દેશ પાસે શરણ આપવાની માગ કરવામાં નથી આવી.
અગાઉ એવા અહેવાલો હતા કે શેખ હસીના બ્રિટન જઇ શકે છે. જોકે બ્રિટનના નિયમો મુજબ તેઓને પ્રવેશ ના મળે તેવી શક્યતાઓ છે. જ્યારે અમેરિકાએ પણ શેખ હસીનાને શરણ આપવાની ના પાડી દીધી છે. જેને પગલે હાલ શેખ હસીનાને હાલ તો ભારતમાં જ સુરક્ષીત સ્થળે રાખવામાં આવ્યા છે. જોકે તેઓ ભારતમાં કેટલા સમય સુધી રહેશે તેને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થઇ. શેખ હસીનાના પુત્રએ જણાવ્યું હતું કે, હું વોશિંગ્ટનમાં છું, મારા કાકી લંડનમાં રહે છે, જ્યારે બહેન દિલ્હીમાં રહે છે. જેને પગલે શેખ હસીના પાસે અમેરિકા, ભારત અને બ્રિટન એમ ત્રણ વિકલ્પો હતા.
જેમાંથી હાલ માત્ર ભારત જ બચ્યું છે જ્યાં તેમને શરણ મળી છે. ભારત સરકાર સમક્ષ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પણ મોટો પડકાર છે. કેમ કે બાંગ્લાદેશની જનતા જ શેખ હસીનાની સામે બળવા પર ઉતરી આવી છે. એવામાં જો શેખ હસીનાને ભારતમાં રાખવામાં આવે તો બાંગ્લાદેશના નાગરિકોમાં કટ્ટરવાદીઓ ભારત વિરોધી માનસિકતા પેદા કરી શકે છે. તેથી ભારતે એ સાબિત કરવું પડશે કે તેના માટે એક વ્યક્તિ કરતા બાંગ્લાદેશના નાગરિકો વધુ મહત્વપૂર્ણ છે. જો બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓની સરકાર બનશે તો ભારત સાથેની સરહદે શાંતિ છે તેમાં ખલેલ પહોંચી શકે છે.



