ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમમાં લેંગપુઇ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. મિઝોરમની રાજધાની આઈઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું. અહેવાલ અનુસાર, મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લેંગપુઈ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જઈને ખાડમાં પડી ગયું હતું, જેના કારણે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય 12ને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં બળવાખોરો અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. બળવાખોરો ભારે પડ્યા ત્યારે લગભગ 100 સૈનિકો ત્યાંથી ભારતીય સરહદ પરના મિઝોરમના લ્વાંગતલાઈ જિલ્લામાં આવી ગયા હતા. આ વિમાન તે સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું.




