સુરતના માંગરોળ તાલુકામાં આવેલ બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજ દ્વારા પીલવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આદિવાસીઓનું નવું વર્ષ એટલે પિલવણી ઉત્સવ જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન કરાયું હતુ ત્યારે આદિવાસી સંસ્કૃતિ અને વિસરાતી જતી પરંપરાઓને જાળવી રાખવા અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.
સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો આવ્યા હતા. નોંધનીય છે કે, પિલવણી ઉત્સવ, અખાત્રીજ પછીની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં આદિવાસી પોશાક, આદિવાસી વાનગીઓ અને વારલી પેઇન્ટિંગના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, આ ઉપરાંત આદિવાસી ડાન્સ માટે લોકચાહના મેળવનાર શ્રદ્ધા પટેલ સહિત આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતાં.




