
ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે તબીબોએ જણાવ્યું હતું કે, આકરી ગરમીને કારણે અભિનેતાને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થયું હતું. શાહરુખ ખાનની તબિયત લથડવાના સમાચાર મળતા જ પત્ની ગૌરી ખાન પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ત્યારે અભિનેત્રી જુહી ચાવલાએ પણ તેમના મિત્ર અને KKR ટીમના પાર્ટનર શાહરૂખની ખબર પૂછી હતી. હવે કિંગ ખાનના ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટુંકી સારવાર બાદ હવે શાહરુખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
શાહરૂખ ખાન તેમની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લે ઓફ મેચના બે દિવસ પહેલા અમદાવાદ પહોંચ્યા હતા. તેમજ મેચમાં KKR સામે જીત મેળવ્યા બાદ શાહરુખ ખાને મેદાનમાં ઉતરી ફેન્સનું અભિવાદન જીલ્યું હતું. ત્યારબાદ શાહરૂખ, ટીમ સાથે મોડી રાત્રે અમદાવાદની આઈટીસી નર્મદા હોટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમનું જોશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અહીં કિંગ ખાને પોતાની દીકરી સુહાનાનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો હતો.
ત્યાર બાદ 22 મે’ના રોજ સવારે શાહરૂખની તબિયત બગડતાં તેમને બપોરે 1 વાગ્યે કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેચ દરમિયાન અમદાવાદ શહેરનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું. પરંતુ ગરમ પવનની ગતિ 5-10 કિલોમીટર પ્રતિકલાકની હતી તથા સ્ટેડિયમ હ્યુમિડિટીનું પ્રમાણ પણ 35-40 ટકાની આસપાસ નોંધાયું હતું. પરંતુ સ્ટેડિયમની અંદર 1,00,000 જેટલા પ્રેક્ષકો હોવાને કારણે ત્યાં ગરમીનું પ્રમાણ બહાર કરતાં વધુ હોઇ શકે છે. જેના કારણે શાહરુખ ખાનને લૂ લાગી હોવાનું સામે આવ્યું હતું.



